નવી દિલ્હીઃ ભારતીય સેનાએ 6 અને 7 મેની મધરાત્રે ઓપરેશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઇક કર્યા પછી પાકિસ્તાને 7 અને 8 મેની રાત્રે ડ્રોન અને મિસાઇલોથી અમૃતસરના સુવર્ણ મંદિર સહિત પંજાબના અનેક શહેરોને નિશાન બનાવ્યા હતા. જોકે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય સેનાએ સોમવારે અમૃતસરમાં આ માહિતી આપી હતી.
15મા પાયદળ ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ જણાવ્યું હતું કે, જ્યારે 7 મેના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓનો સફાયો કરાયો ત્યારે જ ખબર હતી કે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે. ત્યારબાદ પાકિસ્તાને કામિકાઝ ડ્રોન, સપાટીથી સપાટી અને હવાથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો દાગી હતી. તેના લક્ષ્યો ભારતીય વાયુસેનાના મથકો અને લશ્કરી મથકો હતા. જ્યારે ત્યાં કોઈ નુકસાન ન થયું ત્યારે સુવર્ણ મંદિર અને અન્ય રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. સેનાએ આ શક્યતાને ધ્યાનમાં રાખીને સુવર્ણ મંદિરની આસપાસ આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પહેલેથી જ તહેનાત કરી દીધી હતી. તેનાથી મંદિરને સંપૂર્ણ રક્ષણ મળ્યું હતું.
સેનાએ કહ્યું કે 8 અને 9 મેની રાત્રે દુશ્મને સરહદ પર અચાનક ગોળીબાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ભારતીય સૈનિકોએ સચોટ ગોળીબારથી જવાબ આપતાં દુશ્મને પીછેહઠ કરી હતી અને સવાર સુધીમાં તેમની ચોકી પર સફેદ ધ્વજ ફરકાવી દીધો હતો. સેનાએ મીડિયાને પાકિસ્તાનથી છોડાયેલા અને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પડાયેલા ડ્રોન અને મિસાઇલોનો કાટમાળ પણ બતાવ્યો.
પાકે. શાહીન મિસાઇલ દાગી હતી
ઓપરેશન સિંદૂરથી રઘવાયેલા પાકિસ્તાને શાહીન મિસાઇલ પણ છોડી હતી, પરંતુ ભારતની એસ-400 ડિફેન્સ સિસ્ટમે તેને હવામાં જ તોડી પાડી હતી. જોકે કાટમાળ આપણી જમીન પર પડયો નહીં. ભારતીય સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. વાસ્તવમાં આ મિસાઇલ પરમાણુ ક્ષમતા ધરાવે છે. જોકે પાકે છોડેલી મિસાઈલમાં પરમાણુ હથિયાર નહોતા. પાકિસ્તાને 2015માં આ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. પ્રથમવાર કોઈ દેશ સામે તેનો ઉપયોગ કરાયો હતો.
સેનાએ 53 સેકન્ડનો વીડિયો જારી કર્યો
ભારતીય સેનાએ સોમવારે 53 સેકન્ડનો એક વીડિયો જારી કર્યો હતો. જેમાં બતાવાયું હતું કે કેવી રીતે આકાશ અને એલ-70 એર ડિફેન્સ ગન દ્વારા સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. વીડિયો નિહાળવા માટે ગૂગલ કરો આ લિન્કઃ