પણજી: દક્ષિણ ગોવાના સાઓ જૈસિંટો ટાપુ પર ત્રિરંગો લહેરાવવાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. આઝાદીનો અમૃત મહોત્સવ શરૂ થાય તે પહેલાં ટાપુ પરના રહેવાસીઓએ નૌસેના દ્વારા અહીં ત્રિરંગો લહેરાવવા અને કાર્યક્રમના આયોજન સામે વાંધો ઉઠાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે તેઓને સરકારી અધિકારીઓ પર વિશ્વાસ નથી. સ્થાનિકોના વાંધા બાદ નૌસેનાના અધિકારીઓએ અહીંના કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય લીધો હતો. મહત્ત્વનું છે કે સમગ્ર દેશમાં ૧૫ ઓગસ્ટનું પર્વ હર્ષોલ્લાસપૂર્વક મનાવવામાં આવે છે ત્યારે નૌસેનાએ આ વખતે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે દેશભરમાં ટાપુઓ પર ૧૩થી ૧૫ ઓગસ્ટ સુધી ત્રિરંગો લહેરાવવાની યોજના બનાવી હતી. જેમાં ગોવાના સાઓ જૈસિંટો ટાપુનો પણ સમાવશ થતો હતો. ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આ ઘટનાને ભારતવિરોધી ગણાવી હતી અને કહ્યું હતું કે, ભારતવિરોધી તત્ત્વોના આવા પ્રયાસો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રમોદ સાવંત સ્થાનિકોનું આ કૃત્ય દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ગણાવતા ભારતીય નૌસેનાને વિનંતી કરી હતી કે તેઓ તેમના કાર્યક્રમની રૂપરેખા મુજબ આગળ વધે. જેમાં ગોવા પોલીસનો પણ સંપૂર્ણ સહકાર મળશે.