નવી દિલ્હીઃ નેપાળે ચીનના દબાણ હેઠળ ભારતની સરહદે સતત સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. નેપાળે ભારતીય સરહદથી માત્ર ૧૨ કિ.મી.ના અંતરે ત્રણ હેલિપેડ બનાવ્યા છે. નેપાળના આ પગલાંથી ભારતીય સૈન્ય એલર્ટ થઈ ગયું છે. બીજીબાજુ ચીન સાથે યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખતાં હવાઈ દળે ઉત્તરાખંડમાં સંરક્ષણ રડાર્સ ઈન્સ્ટોલ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ જમીનની માગણી કરી છે. નેપાળના નવલપરાસી જિલ્લાના નરસહીના વોર્ડ નંબર ચાર, ત્રિવેણીના આર્મી કેમ્પ અને ઉજ્જૈની નજીક હેલિપેડ બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે. નેપાળમાં હેલિપેડ બન્યા પછી ભારતીય એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. સશસ્ત્ર સીમા દળ (એસએસબી)એ આ અંગે ગૃહમંત્રાલયને રિપોર્ટ મોકલ્યો છે. સલામતીની દૃષ્ટિએ નેપાળ સરકારનું આ પગલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાય છે. અહીં નેપાળના જવાનો માટે બેરેક અને હિથયારો રાખવા માટે બંકર બનાવવાની પણ સરકારની યોજના છે. ભારતના ઝુલનીપુર સરહદથી નરસહી હેલિપેડનું અંતર માત્ર સાત અને ત્રિવેણીથી ૧૨ કિ.મી.નું અંતર છે.