મુંબઈ: ભારતમાં ૨૯મી ડિસેમ્બરના અહેવાલો પ્રમાણે કોરોનાના કુલ કેસનો આંકડો ૧૦૨૩૭૧૧૭, મૃતકાંક, ૧૪૮૩૨૯ અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૯૮૨૧૧૧૯ નોંધાયો છે ત્યારે ભારત માટે સારા સમાચાર એ છે કે ટૂંક સમયમાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થશે. પુના સ્થિત વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક એકમ સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના (એસઆઈઆઈ) સીઈઓ આદર પુનાવાલાએ ૨૮મી ડિસેમ્બરે જણાવ્યું હતું કે, આગામી છ મહિનામાં જ કોવિશિલ્ડના ૩૦ કરોડ ડોઝ ઉત્પાદન કરી શકાશે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને મેડિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સંયુક્ત રીતે વિકસાવેલી રસી ભારતમાં કોવિશિલ્ડના નામે ઓળખાય છે. આ રસીના ઉત્પાદનની જવાબદારી સિરમને મળી છે. પુનાવાલાએ કહ્યું હતું કે, આ રસીને ભારતમાં મંજૂરી મળે પછી ગણતરીના દિવસોમાં જ તેના ચાપ-પાંચ કરોડ ડોઝ ઉત્પાદિત કરી શકાશે. તેમણે એ પણ ખાતરી આપી હતી કે અમે જે કંઈ ઉત્પાદિત કરીશું તેમાંથી અડધો જથ્થો ભારત સરકાર માટે રાખીશું. બાકીનો સ્ટોક વિશ્વને પૂરો પાડીશું.
ભારતમાં ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે આગામી થોડાક જ દિવસમાં મંજૂરી અપાય તેવી શક્યતા છે.
૪૪ ટકા ગ્રામીણ કોરોનાની રસીની કિંમત ચૂકવવા તૈયાર
ભારતની સ્વયંસેવી સંસ્થા ગાંવ કનેક્શને ૧૬ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશના ૬૦ જિલ્લાઓમાંથી કોરોના અંગે સર્વે કર્યો હતો. આ સર્વેના ૨૨મીના અહેવાલો અનુસાર ભારતમાં અંદાજે ૪૪ ટકા ગ્રામીણ ભારતીયો કોરોના રસીની કિંમત ચૂકવવા તૈયાર છે જ્યારે દેશના ગામડાઓની અડધાથી વધુ વસતીનું માનવું છે કે કોરોના કટોકટી ચીનનું કાવતરું છે.
ન્યૂમોનિયાની પ્રથમ સ્વદેશી રસી
એસઆઈઆઈએ કોરોનાની રસી ઉપરાંત ન્યૂમોનિયા (ફેફસાંમાં સોજો લાવતો તાવ)ની રસી તૈયાર કરવામાં પણ સફળતા મેળવી છે. આ ન્યૂમોસિલ નામની રસી સંપૂર્ણપણે સ્વદેશી છે અને ૨૮મીએ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને તે લોન્ચ કરી હતી. આદર પુનાવાલાએ ટ્વિટર પર આ જાહેરાત કરી હતી. ન્યૂમોસિલની ઓનલાઈન લોન્ચિંગ ઈવેન્ટમાં પૂનાવાલાએ કહ્યું કે, ભારતે બનાવેલી ન્યૂમોનિયાની આ એકમાત્ર રસી છે. વળી અત્યારે દુનિયામાં ન્યૂમોનિયાની જેટલી રસી છે, તેમાં સૌથી સસ્તી છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે, આ રસી ભારતે બનાવી છે, પરંતુ યુનિસેફની મદદથી આપણે તેને જગતના તમામ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડીશું. રસી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ જ તૈયાર કરાઈ છે.
બ્રિટિશ સ્ટ્રેન: રાજ્યોને ૫ ટકા પોઝિટિવ કેસનું જિનોમ સિક્વન્સિંગ કરવા સરકારનો આદેશ
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ૨૫ નવેમ્બરે સરકારે આપેલી અનલોકની ગાઈડલાઈન હવે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી અમલી રહેશે ત્યારે બ્રિટનમાંથી ઉદભવેલા કોરોના વાઇરસના નવા પ્રકારનો ભારતમાં પ્રસાર થઇ રહ્યો છે કે કેમ? તે ચકાસવા કોવિડ-૧૯ પરના નેશનલ ટાસ્ક ફોર્સે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મળતા પોઝિટિવ કેસમાંથી પાંચ ટકાનું ફરજિયાત જિનોમ સિક્વન્સિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના નવા ઉદભવતા સ્ટ્રેનની ચકાસણી માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના નેજા હેઠળ જિનોમ સર્વેલન્સ કોન્સોર્ટિયમની રચના કરાઇ છે. જોકે બ્રિટનમાં સામે આવેલો કોરોના વાઇરસનો નવો સ્ટ્રેનથી ભારતની ચિંતા વધી શકે છે. ભારતમાં કોરોના વાઇરસનો સૌપ્રથમ કેસ નોંધાયો હતો તેવા કેરળમાં હવે કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો હોવાની શંકા રાજ્યના આરોગ્ય પ્રધાન કે. કે. શૈલજાએ વ્યક્ત કરી છે. તાજેતરમાં બ્રિટનથી કેરળ આવી પહોંચેલા પ્રવાસીઓ પૈકીના આઠના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતાં. કોઝિકોડમાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા રિસર્ચમાં જોવા મળ્યું છે કે કોરોના વાઇરસના પ્રકારમાં બદલાવ નોંધાયો છે. કર્ણાટકમાં ૧૪ પણ બ્રિટનથી આવેલા ૧૪ કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેલંગણામાં બ્રિટનથી પરત ફરેલા ઓછામાં ઓછા ૨૭૯ પ્રવાસી લાપતા બનતા રાજ્યમાં હાઇએલર્ટની જાહેરાત કરાઈ હોવાના સમાચાર ૨૭મીએ હતા.