સુકમાઃ છત્તીસગઢના સુકમામાં ૧૧મીએ સવારે સીઆરપીએફ જવાનો ઉપર થયેલા નક્સલી હુમલામાં ૧૧ જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય ત્રણને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ હુમલો સુકમા જિલ્લાના ભેજ્જી વિસ્તારમાં થયો હતો. શહીદ થયેલા તમામ સીઆરપીએફની ૨૧૯ બટાલિયનના હતા.
છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમન સિંહે જણાવ્યું હતું કે, માહિતી પ્રમાણે ૧૧ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. વડા પ્રધાન મોદીએ સંવેદના વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડા પ્રધાને ટ્વિટ કર્યું હતું કે ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સુકમા જઈને સ્થિતિનો તાગ મેળવશે. જવાનોના મૃત્યુથી દુઃખી છું. શહીદોને શ્રદ્ધાંજલિ અને પરિવારજનો પ્રતિ સંવેદના. એક અધિકારીએ જણાવ્યું હતું કે ભેજ્જી વિસ્તારમાં બની રહેલા ઈજરમ ભેજ્જી માર્ગની સુરક્ષા માટે આ જવાનો તૈનાત હતા. આ ટુકડીમાં લગભગ સો જવાન હતા.
તેમણે કહ્યું હતું કે નક્સલીઓ માર્ચથી જૂન મહિનામાં ગરમીના દિવસોમાં હુમલાની ઝુંબેશ હાથ ધરતા હોય છે. આ દરમિયાન તેઓ સુરક્ષા દળો ઉપર હુમલો વધુ કરતા હોય છે. ઉનાળા દરમિયાન નિશાન તાકીને હુમલા કરવા સરળ છે.