મુંબઈઃ દેશભરમાં ભગવાન કૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ દહીં હાંડીને લગતી ઘટનાઓમાં મુંબઇના પાલઘર જિલ્લામાં એક અને નવી મુંબઇના ઐરોલીમાં એક એમ બે ગોંવિદાઓએ તેમના જીવ ગુમાવ્યા છે. આ તહેવારની ઉજવણીના ભાગરૂપે હ્યુમન પિરામિડ બનાવવા જતાં માત્ર મુંબઇમાં જ વધુ ૧૧૭ યુવકોને પણ નાની-મોટી ઇજા થઇ છે. જોકે ઉજવણી એકદંરે શાંતિપૂર્ણ રહી હતી. પાલઘરમાં દહી હાંડી ઉજવણીમાં એક ૨૧ વર્ષીય યુવકને એપિલેપ્ટિક એટેક આવતા તેનું મોત થયું હતું. તે હ્યુમન પિરામિડનો એક ભાગ હતો અને હાંડી તૂટ્યા બાદ તે પડી ગયો હતો અને તેને એટેક આવ્યો હતો. ઐરોલીમાં એક ૩૪ વર્ષીય પુરુષનું વીજળીનું કરન્ટ લાગવાથી મોત થયું હતું. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યાનુસાર ૧૧૭ ગોવિંદાને નાની મોટી ઇજાઓ થઇ છે.