નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં રજૂ કરેલા નવા જમીન સંપાદન ખરડા વિરુદ્ધ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવા ૧૪ પક્ષોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ એકજૂથ હોવાનું પ્રદર્શન કર્યું હતું. મંગળવારે સંસદથી પગપાળા ચાલીને રાષ્ટ્રપતિ ભવન પહોંચેલી રેલીની આગેવાની કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને આવેદનપત્રને આ બિલને ખેડૂત વિરોધી જણાવતા રાજ્યસભામાં તેને પાસ ન થવા દેવાની વાત કરી.
જેડીયુના શરદ યાદવ, જેડીએસ અધ્યક્ષ એચડી દેવગૌડા, સીપીએમના સીતારામ યેચુરી, સીપીઆઈના ડી રાજા, તૃણમૂલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદી, એસપીના રામગોપાલ યાદવ, ડીએમકેના કનિમોડી, ઈન્ડિયન નેશનલ લોકદળના દુષ્યંત ચૌટાલા અને આરજેડીના પ્રેમચંદ ગુપ્તા આ માર્ચમાં સામેલ થયા હતા. સોનિયા ગાંધીએ ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરીને કહ્યું કે, બધી પ્રગતિશીલ, લોકતાંત્રિક તાકતો મોદી સરકારની સામાજિક અસહિષ્ણુતા અને ભાગલાની નીતિને આગળ વધતી અટકાવવા એક થયા છે.
કોંગ્રેસ અધ્યક્ષાએ કહ્યું કે, ‘અમે દબાણ કરીશું કે મોદી સરકાર ખરડાને સંશોધનો સાથે રાજ્યસભામાં રજૂ ન કરી શકે. અમે રાષ્ટ્રપતિને રજૂઆત કરી છે કે, તે મામલામાં હસ્તક્ષેપ કરી ખેડૂતોના હકની રક્ષા કરે.’
આ દરમિયાન નેતાઓની રેલીને જોતાં સંસદ અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત કરી દેવાઈ હતી. દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો મોટી સંખ્યામાં વિસ્તારમાં તૈનાત કરાયા છે. બેરિકેડ લગાવાયા અને સંસદથી રાષ્ટ્રપતિ ભવન જવાના રસ્તા પર વોટર કેનન પણ તૈનાત કરાયા હતા.
આ અંગે નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, સરકાર આ અંગે કોઈ માર્ગ કાઢશે. વિપક્ષની રાજનીતિ નકારાત્મક જણાવતા તેમણે કહ્યું કે, આ અવરોધની નીતિ છે, જે ભારતને પાછળ લઈ જવા માટે છે. જમીન સંપાદન ખરડો સમગ્ર રીતે ગ્રામીણ ભારતના પક્ષમાં છે. તેનાથી ગરીબોને ઘર મળશે અને જરૂરી માળખાના વિકાસમાં મદદ મળશે.