નવી દિલ્હીઃ કલમ ૩૭૦ને રદ કર્યા પછી જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ જુદી જુદી અરજીઓ પર હવે પાંચ જજની બંધારણીય પીઠ સુનવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી ત્રણ જજની પીઠે સોમવારે ૨૦થી વધુ અરજી બંધારણીય પીઠને સોંપી હતી. જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષા ધરાવતી બંધારણીય પીઠમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, આર. સુભાષ રેડ્ડી, બીઆર ગવઈ અને સૂર્યકાંત સામેલ છે. આ પીઠ પહેલી ઓક્ટોબરથી સુનવણી શરૂ કરશે. આ અરજીઓમાં કલમ ૩૭૦ને નિષ્પ્રભાવી કરવાની કાયદેસરતા અને પત્રકારો પર લાગેલા કથિત પ્રતિબંધોને પડકારાયા છે.