નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કંઈક નવાજૂની કરવાની તૈયારીમાં હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઇ છે. પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો ખતમ કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી. સંભવતઃ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાની તૈયારી શરૂ કરી છે. તો બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ યુનાઇટેડ નેશન્સને જાણ કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે ભારત કાશ્મીરમાં ફરીથી કશુંક નવીન કરે તેવું લાગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ જૂન - શુક્રવારે જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હોવાથી આ બધી અટકળો - ચર્ચાને વેગ મળ્યો છે.
એક અહેવાલમાં ઉચ્ચ અધિકારીને ટાંકીને જણાવાયું છે કે ‘કેન્દ્ર સરકાર જૂન સમાપ્ત થાય તે પહેલાં જમ્મુ અને કાશ્મીરના તમામ પ્રાદેશિક પક્ષો સાથે ચર્ચા કરી લેવા માગે છે, જેથી રાજકીય પ્રક્રિયાને આગળ વધારી શકાય. આ પ્રક્રિયામાં કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કરવાનો મુદ્દો પણ સામેલ છે.’
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક પખવાડિયાથી નવી દિલ્હીમાં જમ્મુ-કાશ્મીર મુદ્દે મંત્રણાઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડા પ્રધાન, ગૃહ પ્રધાન અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર મનોજ સિંહા, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવલ, કેન્દ્રથી માંડીને રાજ્યના ટોચના સુરક્ષા અધિકારીઓ, ગુપ્તચર અધિકારીઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઇ છે. આ બધી હલચલ જમ્મુ-કાશ્મીરમાં કંઇક નવાજૂનીના સંકેત આપે છે.
રાજકીય હલચલ - ચર્ચા શા માટે?
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરાવવા માટેની તૈયારી મોદી સરકાર કરી રહી છે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ થઈ તે પછી આશા વ્યક્ત થઈ રહી હતી કે વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ પણ તરત શરૂ થઈ જશે. જોકે ક્યાં સુધીમાં ચૂંટણીઓ યોજાશે તે વિશે માત્ર અટકળો હતી. હવે બેઠક યોજાઈ રહી છે તેવા સમાચારો પછી એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોના સીમાંકનથી માંડીને અન્ય મુદ્દે પહેલા રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરી લેવા માગે છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે આનાથી જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ખામોશી દૂર થશે તો સાથે સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક સંદેશ જશે કે કાશ્મીરમાં સ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ બધી પ્રક્રિયાઓ સ્થાનિક નેતાઓને સાથે રાખીને જ કેન્દ્ર સરકાર કરવા માગે છે. સ્થાનિક પક્ષોના સહયોગ વિના રાજકીય ગતિવિધિઓ આગળ વધારવી શક્ય નથી.
પ્રાદેશિક પક્ષો કેન્દ્ર સાથે ચર્ચા માટે તૈયાર
જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં સક્રિય નેશનલ કોન્ફરન્સ (એનસી), પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) સહિતના રાજકીય પક્ષોના બનેલા ગુપકાર ગઠબંધનની ગયા સપ્તાહે બેઠક થઈ હતી. આ પછી નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે તેઓએ કોઈ દરવાજા બંધ કરીને રાખ્યા નથી.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન પદે રહી ચૂકેલા પીડીપીના અધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવી દિલ્હીના ટોચના નેતૃત્વ તરફથી તેમને ૨૪ જૂને એક બેઠકમાં સામેલ થવા અંગે ફોન આવ્યો હતો. જોકે તેમણે જણાવ્યું હતું કે મુખ્ય ધારાના બધા જ રાજકીય પક્ષોને આ બેઠક માટે બોલાવાયા છે કે કેમ તે અંગે તેમને કશી જાણ નથી.
મહેબૂબા મુફ્તીએ સ્થાનિક અખબારો સાથેની વાતચીતમાં પણ બેઠક યોજાવાની વાતની પુષ્ટિ કરી છે. આ જ રીતે જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના પ્રવક્તાએ પણ બેઠક માટે તેમને નિમંત્રણ મળ્યું હોવાની વાત જણાવી છે.
ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ રાજ્યનો વિશેષ દરજ્જો કલમ ૩૭૦ની નાબુદી સાથે રદ થયો તે પછી ભૂતપૂર્વ ત્રણ મુખ્ય પ્રધાનો સહિત ઘણા નેતાઓને નજરકેદ કરાયા હતા. ધીરે ધીરે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના સાત મુખ્ય રાજકીય પક્ષોએ પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લરેશન (પીએજીડી) તૈયાર કર્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યને ફરીથી વિશેષ દરજ્જો આપવાનો છે.
ગૃહપ્રધાનની ઉચ્ચ સ્તરીય બેઠક
ગૃહપ્રધાન અમિત શાહે પાટનગરમાં ૧૮ જૂને જમ્મુ-કાશ્મીર મુદ્દે મહત્ત્વની બેઠક યોજી હતી. તે વખતે તેમણે કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશના બધા જ લોકોનો વિકાસ અને કલ્યાણ એ મોદી સરકારની અગ્ર હરોળની પ્રાથમિકતા છે.
આ બેઠકમાં અમિત શાહ ઉપરાંત ગવર્નર મનોજ સિંહા, એનએસએ અજિત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા, ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા અરવિંદ કુમાર, રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ (રો)ના વડા સામંતકુમાર ગોયલ, સીઆરપીએફના ડિરેક્ટર જનરલ કુલદીપ સિંહ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહ પણ હાજર હતા. બેઠકમાં રાજ્યના ગવર્નરથી માંડીને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ - ગુપ્તચર અધિકારીઓની હાજરી પરથી અનુમાન લગાવી શકાય છે કે કાશ્મીર માટેની આ કોઈ સામાન્ય બેઠક નહોતી.