નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાદવાનાં જાહેરનામા પર હસ્તાક્ષર કરી દેતાં ૧૯ ડિસેમ્બર મધરાતથી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનનો અંત આવી ગયો છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરતો રાજ્યપાલ સત્યપાલ મલિકનો રિપોર્ટ મળ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય પ્રધાનમંડળે ૧૭ ડિસેમ્બરે આ નિર્ણય લીધો હતો. રાષ્ટ્રપતિનાં જાહેરનામા બાદ હવે રાજ્યની ધારાસભાની તમામ સત્તા અને અધિકારો સંસદનાં અધિકાર ક્ષેત્રમાં આવી ગયા છે.
અગાઉ પીડીપી સાથે ભાજપે ગઠબંધન તોડી નાખતાં જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું હતું. આ પછી મહેબૂબા મુફ્તીની પીડીપી અને સજ્જાદ લોનની પીપલ્સ કોન્ફરન્સે સાથે મળીને રાજ્યમાં સરકાર રચવાનો દાવો કર્યો હતો. જોકે વિરુદ્ધ રાજકીય વિચારધારા ધરાવતી રાજકીય પાર્ટીઓ એકસાથે મળીને રાજ્યને સ્થિર સરકાર આપે તેવી કોઈ સંભાવના ન દેખાતાં રાજ્યપાલ સત્યપાલ મલિકે ગયા મહિને જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું વિસર્જન કરી નાખ્યું હતું.