જમ્મુઃ પીડીપીપ્રમુખ મહેબૂબા મુફ્તી અને ભાજપના નેતા નિર્મલસિંહે ૨૬મી માર્ચે બપોરે એકસાથે જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ એન એન વોરા સાથે મુલાકાત કરીને સરકારની રચનાનો દાવો રજૂ કર્યો હતો. પીડીપીને ભાજપના ટેકાનો પત્ર પણ નિર્મલસિંહે રાજ્યપાલને સોંપ્યો હતો. મહેબૂબાએ બેઠક બાદ કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટે ભાજપના બિનશરતી સમર્થન માટે હું આભારી છું. સાથે પીએમ મોદીના સરકારની રચના માટેના આશ્વાસન બદલ તેમણે આભાર માન્યો હતો. બંન્ને પક્ષોના નેતાઓ મંત્રાલયો મુદ્દે ઝડપથી બેઠક કરશે.
મહેબૂબાએ પત્રકારોને કહ્યું હતું કે તેમના પિતાએ રાજ્યમાં શાંતિ, મેળમિલાપ અને વિકાસ માટે જે એજન્ડા ઓફ એલાયન્સ બનાવ્યો હતો, તેને તેઓ આગળ લઇ જશે. જમ્મૂ, કાશ્મીર અને લદ્દાખના હિત માટે મોદીએ વિશ્વાસ અપાવ્યો છે કે રાજ્યને શક્ય તેટલો તમામ સહયોગ આપવામાં આવશે.