જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ ભારતીય જમીન ખરીદી શકશે

Thursday 29th October 2020 05:14 EDT
 
 

નવી દિલ્હીઃ મોદી સરકારે મંગળવારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જે અનુસાર હવે દેશનો કોઇ પણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે કે ત્યાં સ્થાયી થઈ શકે છે. ગૃહ મંત્રાલયે મંગળવારે આ સંદર્ભે નોટિફિકેશન પણ જારી કર્યું છે.
જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજયપાલ મનોજ સિંહાએ કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે બહારના ઉદ્યોગો જમ્મુ-કાશ્મીરમાં આવે અને ઉદ્યોગો માટે જમીનની જરૂરત હોવાથી હવે કોઈ પણ વ્યક્તિ રાજ્યમાં જમીન ખરીદી શકે છે. જોકે ખેતીની જમીન ફ્ક્ત રાજ્યના લોકો માટે જ રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં ફ્ક્ત સ્થાનિક નાગરિકો જ જમીન ખરીદી કે વેચી શકતા હતા, પણ હવે બહારના લોકો પણ જમીન ખરીદી પોતાનું કામ કે વસવાટ શરૂ કરી શકે છે.
મહત્ત્વનું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી ગયા વર્ષે જ કલમ ૩૭૦ નાબૂદ કરાઇ છે અને ૩૧ ઓક્ટોબર ૨૦૧૯થી જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. હવે કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના એક વર્ષ પૂરા થવા પર જમીનના કાયદામાં ફેરફાર કરાયો છે.

ગૃહ મંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્રચના કાયદા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈ પણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ફેક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે સ્થાનિક રહીશ હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter