શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ૧૮મીએ બે અથડામણોમાં સલામતી દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યાં હતાં. તેમાં સૈન્યના શહીદ જવાન ઔરંગઝેબની હત્યામાં સામેલ આતંકીનો પણ સમાવેશ થાય છે. કાશ્મીરના અવંતીપોરાના પંજગામ તલાશી અભિયાનમાં હિજબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકી માર્યાં ગયાં હતાં. તેમની ઓળખ શૌકત ડાર, ઇરફાન વાર, મુઝફ્ફર શેખ તરીકેની થઈ હતી. ડાર ઔરંગઝેબની હત્યા કરનારા ગ્રુપમાં હતો. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ૧૫મીએ પણ ઠાર કરાયા હતા, જોકે ત્યારે એક જવાન સંદીપકુમાર પણ શહીદ થયો હતો અને એક સ્થાનિક નાગરિકનું પણ મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે જે સ્થળે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા ત્યાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને અન્ય હથિયારો પણ મળી આવ્યા હતા. માર્યા ગયેલો આતંકી નસીર અને ઉમર મીર પુલવામા અને શોપિયાના રહેવાસી હતા.