નવી દિલ્હીઃ કોરોનામાં સપડાયેલા યૂ ટ્યૂબર રાહુલ વોહરાનું દિલ્હીમાં નિધન થયું છે. તેઓ માત્ર ૩૫ વર્ષના હતા. મૃત્યુના એક દિવસ પહેલાં જ તેમણે સરકાર પાસે સતત મદદ માંગતી પોસ્ટ શેર કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ટેગ કરીને પોતાની લાચારી દર્શાવતા લખ્યું હતું કે ‘જો મને સારી ટ્રીટમેન્ટ મળી હોત તો હું બચી શક્યો હોત... હવે હું હિંમત હારી ગયો છું. હું ફરી જલદી જન્મ લઈશ અને સારા કામ કરીશ...’ રાહુલ વોહરાના મોટિવેશનલ અને કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થતા હતા. થિયેટર ડિરેક્ટર અરવિંદ ગોરે તેમના અવસાનની પુષ્ટી કરી હતી. ગોરે લખ્યું હતું કે શનિવારે રાહુલને દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલથી દ્વારકામાં આયુષ્યમાન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પણ તેમને બચાવવામાં તમામ પ્રયાસ નિષ્ફળ ગયા હતા. તેમણે નેટફ્લિક્સ ફિલ્મ ‘અનફ્રીડમ’માં પણ કામ કર્યું હતું.