નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ૨૭ વર્ષીય સ્ટુડન્ટ જે મુથુકૃષ્ણન જીવાનાથમે કથિત રીતે ૧૩મીએ આત્મહત્યા કરી લીધાનું બહાર આવ્યું છે. તે આંધ્ર પ્રદેશના સેલમનો રહેવાસી હતો અને તે ડિપ્રેશનમાં હતો એવું કહેવાય છે. જોકે તેણે એક ફેસબુક પોસ્ટમાં એમ ફિલ અને પીએચડી એડમિશનને લઈને યુનિવર્સિટીમાં ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કથિત આપઘાત અંગે કહ્યું કે, આ વિદ્યાર્થીની કોઈ સુસાઈડ નોટ મળી નથી. સુસાઈડનું કારણ જાણી શકાયું નથી અને ફોરેન્સિક લેબ પણ તપાસ કરશે.
‘દીકરો આત્મહત્યા ન કરે’
સાલેમમાં રહેતા કૃષ્ણનના પરિવારજનોએ સોમવારે સાંજે વિરોધ પ્રદર્શનમાં સડક જામ કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો. પ્રદર્શનમાં તેના પરિવારજનો ઉપરાંત ડીવાઈએફઆઈના સભ્ય અને વિદુથલાઈ સરુથઈના સભ્ય હતા. પરિવારજનોએ મુથુનું મોત રહસ્યમય પરિસ્થિતિમાં થયું હોવાનો આરોપ લગાવ્યો છે. મુથુકૃષ્ણનના પિતાએ કહ્યું કે તેનો દીકરો આત્મહત્યા કરે તેવો કાયર નહોતો. જોકે એક સીનિયર પોલીસ ઓફિસરના જણાવ્યા મુજબ, યુનિવર્સિટીના કોઈ મુદ્દાના કારણે તે આ પગલું ભર્યું છે તે વાતના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી.