નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદની કમર તોડવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ 22 સપ્ટેમ્બરે દેશનાં 13 રાજ્યોમાં PFIનાં નામે પિપલ્સ ફ્રન્ટ ઓફ ઇંડિયા સંસ્થાના 100થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને 100થી વધુ લોકોની ધરપકડ કરી છે.
સંસ્થાએ તેની પ્રવૃત્તિ માટે દેશવિદેશમાંથી 120 કરોડ રૂપિયાનું જંગી ભંડોળ મેળવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. તપાસનીશ અધિકારીઓએ દાવો કર્યો હતો કે સંસ્થા સાથે જોડાયેલા કટ્ટરવાદી પરિબળોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના કેટલાક નેતાઓની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું. પીએફઆઇના કાળા કરતૂતો પરથી પરદો ઊંચકાયા બાદ હવે તેના પર પ્રતિબંધ લાદવા માટે વિચારણા ચાલી રહી હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે કટ્ટરવાદી વિચારસરણીને વરેલી આ સંસ્થાની શંકાસ્પદ ગતિવિધિ અને કથિત આતંકી સંપર્કોને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યો અગાઉ જ તેના પર પ્રતિબંધની માગણી કરી ચૂક્યા છે.