નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી દ્વારા તેમના વડા પ્રધાન પદનાં કાર્યકાળમાં નૌકાદળનાં જહાજ આઈએનએસ વિરાટનો રજાઓ ગાળવા અને પિકનિક માટે ઉપયોગ કરાયો હોવાના આક્ષેપો થયા હતા. આ અંગે પૂર્વ નેવી ચીફ રામદાસે નેવીનાં ૪ પૂર્વ અધિકારીઓનાં લેખિત નિવેદનોને ટાંકીને આ આક્ષેપોને સત્યથી વેગળા ગણીને ફગાવ્યા હતા. પૂર્વ ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ એલ. રામદાસ (નિવૃત્ત) દ્વારા તેનો પોઇન્ટ ટુ પોઇન્ટ ઉલ્લેખ નવમીએ કરાયો હતો. રામદાસે જણાવ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી દ્વારા રજાઓ મનાવવાની વાત સાચી નથી. તે દિવસે તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી અને તેમના પત્ની સત્તાવાર પ્રવાસે હતા તેમની સાથે કોઈ વિદેશી ન હતું.
એડમિરલ રામદાસે તેમનાં નિવેદનમાં કહ્યું હતું કે, વાસ્તવમાં મામલો કંઈક જુદો હતો. રામદાસે કહ્યું કે, ૩૨ વર્ષ પહેલા આ ઘટના થઈ તેનો ક્રમ અને સમય આ મુજબ હતો. હું તે સમયે ત્યાં હાજર હતો. નેવલ ચીફ રામદાસ પોતે, વાઇસ એડમિરલ પસરિચા, એડમિરલ અરુણ પ્રકાશ અને વાઈસ એડમિરલ મદનજિત સિંહની લેખિત માહિતીને આધારે આ નિવેદન કરાયું છે. તેમાં લક્ષદ્વીપનાં નેવલ ઓફિસર ઇન્ચાર્જની નોંધ પણ ધ્યાનમાં લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે નેવીના પૂર્વ અધિકારી હરિંદર સિક્કા રાજીવ ગાંધી પરના પિકનિકના દાવાના સમર્થનમાં છે. સિક્કાએ જણાવ્યું કે, રાજીવ ગાધી પરિવાર સાથે આઈએનએસ વિરાટની યાત્રાએ આવ્યા હતા. ત્યારે નેવીના તમામ અધિકારીઓએ તેનો વિરોધ કર્યો હતો. અમે તે વખતે લાચાર હતા અમે બોલી શકીએ કે કોઈ વાંધા ઉઠાવી શકીએ તેવી હાલતમાં નહોતા.