નવી દિલ્હીઃ એક તરફ ભારતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ ૧૨૫૦થી વધુએ પહોંચ્યો છે અને કોરોનાથી આશરે ૩૨ મૃત્યુ દેશમાં થયાં છે. તેવામાં તબલીગી જમાત કાર્યક્રમ સામે કેન્દ્રીય ગૃહમંત્રાલયે લાલ આંખ કરી છે. તબલીગી જમાત સાથે સંકળાયેલા ઈન્ડોનેશિયાના લગભગ ૮૦૦ લોકોને કેન્દ્રએ વિઝા નિયમોના ઉલ્લંઘન બદલ બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અન્ય ૨૫૦ જેટલા વિદેશીઓને પણ બ્લેકલિસ્ટ કરીને તેમના વિઝા પણ રદ કરાશે.
દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના નામે આયોજિત એક કાર્યક્રમમાં લગભગ ૨૫૦૦ લોકો જોડાયાં હતાં. તેમાં ૫ રાજ્યોના લોકો ઉપરાંત વિદેશીઓ પણ હતાં. કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉનમાં આ તમામ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતાં. જેથી અનેક લોકો કોરોના સંક્રમિત બન્યાં છે અને આ લોકોએ સંખ્યાબંધ લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા છે. આ કાર્યક્રમમાં ૨૦૦ને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે અને ૩૩૪થી વધુને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લગભગ ૭૦૦ લોકોને કોરોન્ટાઈન કરાયા છે.