શ્રીનગર: લશ્કર-એ-તોઇબાનો મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાની આતંકવાદી નવીદ જટ ૨૮મીએ અથડામણમાં માર્યો ગયો હતો. રાઇઝિંગ કાશ્મીરના તંત્રી સુજાત બુખારીની હત્યા સહિત અનેક હુમલામાં તે સંડોવાયેલો હતો. પાકિસ્તાનની આતંકી શિબિરોમાં તેની તાલીમ ૨૬/૧૧ના હુમલાખોર અજમલ કસાબ સાથે થઈ હતી. ચાર વર્ષ પછી સલામતી દળોના હાથમાં સપડાયેલો નવીદ ગત ફેબ્રુઆરીમાં શ્રીનગરના એસએએમએચએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી ભાગી ગયો હતો. અથડામણમાં મોત પહેલાં અંદાજે છ વખત બચવામાં સફળ રહ્યો હતો. ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે ઓપરેશનમાં નવીદનો એક સાથી પણ માર્યો ગયો.
૨૦૧૨માં નવીદ કાશ્મીરમાં ઘૂસ્યો હતો
૨૨ વર્ષીય નવીદ જટ પાકિસ્તાનનો મુલ્તાનનો છે. શાળાનો અભ્યાસ વચ્ચે જ છોડી ૨૦૧૦માં તે આતંકી બની ગયો હતો. મુઝફ્ફરાબાદમાં તાલીમ બાદ ઓક્ટોબર ૨૦૧૨માં કુપવાડાના રસ્તે તે સાત અન્ય આતંકીઓ સાથે કાશ્મીરમાં ઘૂસ્યો હતો. તે અનેક આતંકી હુમલામાં સંડોવાયેલ હતો. ૨૦૧૪માં તેની ધરપકડ કરાઈ હતી પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જતા ત્યાંથી ભાગી ગયો હતો.