નવીદિલ્હીઃ આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ ચોથી ડિસેમ્બરે પસાર કર્યું છે. આ બિલને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારને નાથનારું ગણાવ્યું છે. ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ તાજેતરમાં અન્ના હજારેની માગોને સામેલ કરીને જન લોકપાલ બિલ અંગેના સંશોધનો પણ વિધાનસભામાં રજૂ કર્યા હતા. ટૂંક સમયમાં બિલને કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિ સમક્ષ મુકાશે.
આ બિલમાં ભ્રષ્ટાચાર માટેની સજાની દસ વર્ષથી લઈને આજીવન સુધીની જોગવાઈ છે. આ ઉપરાંત બિલ મુજબ તમામ લાગતા વળગતા અધિકારીઓએ સંપત્તિની ફરજિયાત માહિતી આપવી પડશે અને જો તેઓ આમ નહીં કરે તો ફેબ્રુઆરીનો પગાર નહીં મળે તેવો પ્રસ્તાવ પણ મુકાયો છે. જોકે, આ બિલને ગર્વનરની મંજૂરી મળવાની હજુ બાકી છે.