નવી દિલ્હીઃ રાજધાનીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીવાસીઓને વધુ એક ભેટ આપી છે. દિલ્હી સરકારે પ્રતિ માસ ૨૦૦ યુનિટ વપરાશ હોય તેમનું વીજબિલ સંપૂર્ણ માફ કરી દીધું છે. જે લોકોનો વિદ્યુતનો માસિક વપરાશ ૨૦૦ યુનિટ કે તેનાથી ઓછો છે તે લોકોનું વીજળીનું બિલ સંપૂર્ણપણે માફ કરાશે. જોકે ૨૦૦ યુનિટથી વધારે વપરાશ પર પહેલાની માફક જ પૂરું બિલ ભરવું પડશે. આ કારણે સબસિડી પર આશરે ૧૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેજરીવાલે જણાવ્યું કે ૨૦૧૩ની સાલ પહેલાં ૨૦૦ યુનિટ વીજળી માટે ૯૦૦ રૂ. ચૂકવવા પડતા હતા પરંતુ હવે કોઈ કિંમત નહીં ચૂકવવી પડે. વધુમાં કહ્યું કે સમગ્ર દેશમાં વીજળીનો રેટ વધ્યો છે પરંતુ માત્ર દિલ્હીમાં રેટ ઘટ્યો છે તે એક ચમત્કાર છે.