દિલ્હી હિંસા મુદ્દે તાહિરના ભાઇ શાહઆલમની ધરપકડ

Wednesday 11th March 2020 06:50 EDT
 

નવી દિલ્હીઃ નાગરિક્તા કાયદાના વિરોધમાં દિલ્હીમાં તોફાનો અને હિંસામાં અત્યાર સુધીમાં કુલ ૫૩ લોકોનાં મોત થયાં છે અને અંદાજે ૨૦૦ લોકો ઘાયલ થયાં છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ કુલ ૪૮ કેસ આર્મ એક્ટ હેઠળ આ મુદ્દે દાખલ કરાયા છે. દિલ્હી હિંસા મામલે પોલીસે સોમવારે આમ આદમી પાર્ટીની સસ્પેન્ડેડ કાઉન્સિલર તાહિર હુસેનના ભાઇ અને આઇબીના અધિકારી અંકિત શર્માની હત્યાના આરોપી શાહઆલમની ધરપકડ કરી હતી. બીજી બાજુ પોલીસે સીએએ વિરુદ્વ હિંસા ભડકાવવામાં આરોપમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ના સભ્ય મોહમ્મદ દાનિશની ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસે રવિવારે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ખુરાસાન પ્રાંત મોડ્યુલ (અફઘાનિસ્તાન) સાથે સંકળાયેલા કાશ્મીરી દંપતી જહાંબેઝ સામી અને તેની પત્ની હિના બશીર બેગની જામિયા નગરમાંથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે, બંને સીએએ વિરુદ્ધ મુસ્લિમ યુવકોને ભડકાવીને આતંકી હુમલો કરવા ઈચ્છતા હતા. જહાંબેઝ અફઘાનમાં આઈએસકેપીના ટોપ લીડર હુજૈફા બકિસ્તાનીના સંપર્કમાં હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.
શિવસેનાએ મુખપત્ર ‘સામના’માં વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન શાહને તીખી ટિપ્પણી સાથે લખ્યું છે કે, જો દિલ્હી હિંસા વખતે યમરાજાનું શાસન હોત તો તેમણે પણ આટલી હિંસા જોઇને રાજીનામું આપ્યુ હોત. ત્યારે ઉત્તર પ્રદેશમાં સીએએનો વિરોધ ભડક્યો છે. લખનઉના કલોક ટાવર વિસ્તારમાં બે મહિનાથી ધરણા કરતી ફરિદા (ઉં ૫૫)નું છઠ્ઠી માર્ચે હ્રદયરોગનો હુમલો આવતાં મોત થયું હતું તો ઉત્તર પ્રદેશ સરકારે સીએએ વિરુદ્વ હિંસક દેખાવ અને તોડફોડથી થયેલા નુકસાનની ભરપાઇ માટે ૫૭ આરોપીઓનાં હોર્ડિંગ્સ લગાવડાવ્યાં હતાં તેને હટાવવાનો આદેશ અલ્હાબાદ હાઇ કોર્ટે કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter