નવી દિલ્હીઃ પંચશીલ પાર્કમાં રહેતી ૩૨ વર્ષીય ફ્લાઇટ એટેન્ડેન્ટ અનીસિયા બત્રાએ તેના ઘરની છત પરથી કૂદીને આપઘાત કરી લીધો હોવાનું તેના પતિએ પોલીસમાં તાજેતરમાં નોંધાવ્યું હતું. અનીસિયા લુફ્તાન્સા એરલાઇન્સમાં કામ કરી ચૂકી છે. તેના પરિવારજનોએ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. અનીસિયાના પિતા આર્મીના રિટાયર્ડ મેજર જનરલ છે.
અનીસિયાના મોતના એક દિવસ પહેલાં તેના પિતાએ પોલીસમાં એક અરજી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની દીકરી પર તેના પતિ અને સાસરિયા પક્ષનો લોકો દ્વારા અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. તેની સાથે મારપીટ કરવામાં આવી રહી છે. તેના પતિ અને તેના સાસુ-સસરાની ધરપકડ કરવામાં આવે. અનીસિયા બત્રાના પતિ મયંક સિંઘવીએ પોલીસને જણાવ્યું હતું કે ૧૩મીએ સાંજે તેને એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. જેમાં તેની પત્નીએ લખ્યું હતું કે તે આપઘાત કરવા જઈ રહી છે. મેસેજ મળ્યો ત્યારે તે ઘરે હતો, પરંતુ જ્યાં સુધી તે ઘરની છત પર પહોંચ્યો ત્યાં સુધી તે કૂદી ગઈ હતી. બાદમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.