નવી દિલ્હી: ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીના જ્વેલરી નિકાસકાર અને બે કંપનીઓના ડિરેક્ટરો સામે તાજેતરમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ સાથે રૂ. ૩૮૯.૮૫ કરોડની છેતરપિંડીના કેસ નોંધ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી દ્વારકાદાસ શેઠ ગ્રૂપની કંપનીઓના માલિક શેઠ અને ડિરેક્ટરો એક વર્ષથી દેશ છોડીને ફરાર થઇ ગયા છે. ફરિયાદ પ્રમાણે આ નિકાસકારે બેન્કના કેટલાક અધિકારીઓ અને કેટલીક ફ્રોડ ફાઈનાન્સ કંપનીઓની મદદથી છેતરપિંડી આચરી હતી. ઓબીઓસી બેંકે આ છેતરપિંડી અંગે સીબીઆઇને ૬ મહિના પહેલાં ફરિયાદ કરી હતી પરંતુ પીએનબીનું કૌભાડ બહાર આવ્યા પછી સીબીઆઇએ હવે કેસ નોંધ્યો છે. સીબીઆઇએ ૨૨મી ફેબ્રુઆરીના રોજ દ્વારકાદાસ શેઠ ઇન્ટરનેશનલ, તેની સહયોગી કંપની દ્વારકાદાસ શેઠ સેઝ ઇન્ડિયા ઇન્કોર્પોરેશન, તેના માલિક સભ્ય શેઠ, ડિરેક્ટરો રીતા શેઠ, ક્રિશ્નકુમાર સિંહ, રવિકુમાર સિંહ અને કેટલાક અજાણ્યા બેન્ક કર્મચારીઓ સામે એફઆઇઆર નોંધી છે.


