નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ૧૯મીએ સતત બીજા દિવસે પણ મેઘતાંડવ જારી રહ્યું હતું. વરસાદ અને પૂરના કહેરમાં ૩૫થી વધુનાં મોત બાદ મરણની વધુ ઘટનાઓ બહાર આવી રહી છે અને હજારો લોકો ફસાઈ ગયા હોવાના અહેવાલો હતા. પંજાબ-હરિયાણામાં પણ તમામ નદીઓ ગાંડીતૂર થતાં પૂરની સ્થિતિ હતી. સોમવાર સાંજે યમુના નદી ડેન્જર માર્કથી ઉપર વહેવા માંડતાં સત્તાવાળાઓ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની ફરજ પડી હતી. દિલ્હી સરકારના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નદી ૨૦૫.૩૬ મીટરની સપાટીએ વહી રહી હતી. ડેન્જર માર્ક ૨૦૫.૩૩ મીટર છે. હરિયાણાએ ૧.૪૩ લાખ ક્યુસેક પાણી છોડતાં આ સપાટી વધુ જોખમી બનવાની ચેતવણી અપાઈ હતી.
હિમાચલ - ઉત્તરાખંડમાં ખરાબ સ્થિતિ
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભેખડો ધસી પડવાની ઘટનાઓને કારણે મોટાભાગના રસ્તાઓ બંધ કરી દેવા પડ્યા હતા. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ઋષિકેશમાં પૂર આવ્યું છે ગંગા નદી હરિદ્વારમાં ડેન્જર માર્ક ૨૯૪.૪૫ મીટરથી ઉપર વહી રહી છે તેમ સબ ડિવિઝનલ ઓફિસર વિક્રાંત સૈનીએ કહ્યું હતું.
ઉત્તર ભારત પંજાબમાં ૪૨થી વધુ મોત
હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં ધોધમાર વરસાદ અને પૂરના કારણે ૪૨થી વધુના મોત નોંધાયા હતા. હિમાચલ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ૫૦,૦૦૦ કરતાં પણ વધારે પ્રવાસીઓ અટવાયા હતા. સિમલા નજીક ભારે વરસાદને કારણે સેંકડો લોકો લાપતા બન્યા હતા.