નવી દિલ્હી: દિલ્હી સરકારના આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર કુમાર જૈનની સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કોલકાતાની એક કંપની સાથે થયેલી હવાલા લેવડદેવડના કેસમાં ધરપકડ કરાઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીના અધિકારીઓએ વારંવાર ફરિયાદ કરી હતી કે, સત્યેન્દ્ર જૈન દ્વારા આ કેસની તપાસમાં સહયોગ આપવામાં આવતો નથી. તેના પગલે જ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા એપ્રિલ મહિનામાં ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં જૈન પરિવાર અને કંપનીઓની રૂ. 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તે પછી દિલ્હી ભાજપના નેતા અને કાર્યકરોએ જંતરમંતર ખાતે ધરણા કરીને જૈનને પદ પરથી દૂર કરવાની માગણી કરી હતી.
તાજેતરની ઇડીની તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે વર્ષ 2015-16માં સત્યેન્દ્ર જૈન પોતે જાહેર સેવક હતા તેવામાં પોતાને લાભ પહોંચાડતી અને તેમના નિયંત્રણ હેઠળની કંપનીઓ અને કોલકાતા ખાતેની શેલ કંપનીઓ વચ્ચે રૂ. 4.81 કરોડની હવાલા લેવડદેવડ થઈ હતી. કહેવાય છે કે કોલકાતાના એન્ટ્રી ઓપરેટરને રોકડ મોકલવામાં આવી હતી. ત્યાંથી શેલ કંપનીઓ માધ્યમથી જૈનને રૂ. 4.81 કરોડની હવાલા લેવડદેવડ થઈ હતી. કહેવાય છે કે કોલકાતાના એન્ટ્રી ઓપરેટરને રોકડ મોકલવામાં આવી હતી. ત્યાંથી શેલ કંપનીઓના માધ્યમથી જૈનને રૂપિયા 4.81 કરોડની મળ્યા હતા અને તેમણે તે નાણાનો ઉપયોગ જમીન ખરીદી કે દિલ્હી આસપાસ ખેતીની જમીન ખરીદવા માટે થયેલું દેવા ભરપાઈ કરવામાં કર્યો હતો.
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ સત્યેન્દ્ર જૈન સામે લાગેલા આરોપ ઉપજાવી કાઢવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ આઠ વર્ષથી એક ઉપજાવી કાઢેલો કેસ ચલાવવામાં આવી રહ્યો છે. ઇડી અત્યાર સુધીમાં તેમને અનેક વાર બોલાવી ચૂકી છે. વચ્ચે કેટલાક વર્ષ દરમિયાન જૈને બોલાવવાનું પણ ઇડીએ બંધ કરી દીધું હતું કારણ કે કાંઈ મળ્યું નહોતું. જોકે હવે સત્યેન્દ્ર જૈન હિમાચલ ચૂંટણીના ઈન્ચાર્જ હોવાથી ફરીથી તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.