નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવતાં નથી તેને ધ્યાનમાં લઇને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે લોકડાઉનને વધારે એક સપ્તાહ માટે લંબાવવાની જાહેરાત કરી હતી. હવે આ લોકડાઉન આગામી સોમવારને ત્રણ મેની સવારે પાંચ કલાક સુધી લાગુ રહેશે. કેજરીવાલે જણાવ્યું હતું કે કોરોના સામે હવે લોકડાઉન એ જ આખરી હથિયાર છે. નોંધનીય છે કે દિલ્હીમાં ગત ૧૯ એપ્રિલની રાતે ૧૦ કલાકથી લોકડાઉન લાદવામાં આવ્યું હતું જે સોમવારે ૨૬ એપ્રિલના સવારે પાંચ કલાક સુધી લાગુ રહેવાનું હતું. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે ત્યારે મેડિકલ ઓક્સિજનની તીવ્ર અછત જળવાઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે અમને કેન્દ્ર તરફથી ૪૯૦ મેટ્રીક ટન ઓક્સિજન ફાળવવામાં આવ્યો છે પરંતુ આ પૂરો જથ્થો અમારા સુધી પહોંચતો નથી, માંડ ૨૨૦-૨૨૫ મેટ્રીક ટન જથ્થો પહોંચે છે. હાલમાં અમારી રોજની જરૂરીયાત ૭૦૦ મેટ્રીક ટનની છે.