નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૭૪મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધન કરતાં સ્વાધીનતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આ અવસરે દેશ સ્વતંત્રતા સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ કરે છે. લદ્દાખના ગાલવાન ખીણ પ્રદેશમાં ચીની સૈન્યનો મુકાબલો કરતાં શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનોને અંજલિ આપતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સમસ્ત માનવજાત સામે મહામારી રૂપે સામે આવેલા પડકારનો સામનો વિશ્વ સાથે મળીને કરે તેવી જરૂરિયાત છે.
આ સ્થિતિમાં પાડોશી દેશો વિસ્તારવાદ માટે દુઃસાહસ ખેલવા પ્રયાસશીલ હતા, પરંતુ આપણા બહાદુર સૈનિકોએ સરહદોની સુરક્ષા કરતાં પ્રાણની આહુતિ આપી હતી. સમગ્ર દેશ ગાલવાન ખીણના શહીદોને નમન કરે છે. પ્રત્યેક ભારતીય તેમના પરિવારો પ્રતિ પણ ગૌરવની લાગણી અનુભવે છે.
તેમણે કહ્યું કે, ઘાતક કોરોના વાઇરસે જનજીવનને પ્રભાવિત કર્યું હોવાથી સ્વતંત્રતા પર્વની ઉજવણી દર વર્ષની જેમ ધામધૂમપૂર્વક નહીં થઇ શકે. મહામારીએ આપણી જીવન શૈલીને પણ બદલી નાંખી છે. કેન્દ્ર સરકારે આ મહામારીનો સામનો કરવા પ્રભાવશાળી પગલાં લીધાં છે. રાજ્ય સરકારો પણ કેન્દ્ર સરકારને સહયોગ આપી રહી છે.