રાંચીઃ ગૃહ પ્રધાન અમિત શાહે ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ સમગ્ર દેશમાં લાગુ થશે. લોકસભા ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું કે, અમારો પક્ષ એનઆરસી લાગુ કરશે. દુનિયામાં કોઈ દેશ એવો નથી, જ્યાં કોઈ પણ જઈને રહેવા લાગે તો ભારત તેમાં અપવાદ કેમ? અમે આસામ સિવાયના રાજ્યોમાં તે લાગુ કરીશું. અમિત શાહે કહ્યું કે, એનઆરસીનો અર્થ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ છે, નહીં કે નેશનલ રજિસ્ટર ઓફ આસામ. શું કોઈ પણ વ્યક્તિ અમેરિકા કે ઈંગ્લેન્ડ જઈને રહી શકે છે? જો ના, કોઈ પણ ભારત આવીને કેવી રીતે રહી શકે?
હરિયાણા-ઉત્તર પ્રદેશમાં પણ સંકેત
હાલમાં જ હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સંકેત આપ્યો હતો કે, તેઓ પણ પોતપોતાના રાજ્યોમાં એનઆરસી લાગુ કરશે.
આસામમાં ગેરકાયદે રહેતા લોકો
આસામમાં ૩.૩૦ કરોડ લોકોએ નાગરિકતા માટે આવેદન કર્યું હતું. ૩૧ ઓગસ્ટે જારી એનઆરસીની અંતિમ યાદીમાં ૧૯ લાખ લોકોને સ્થાન નથી મળ્યું. સુપ્રીમ કોર્ટે એનઆરસી તૈયાર કરવાનો હુકમ કર્યો હતો. બે કરોડ બાંગ્લાદેશી ગેરકાયદે રીતે દેશમાં રહે છે.