ઇન્દોરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે એનડીએ સરકાર સર્વસંમતિ સાધીને સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કરશે. શ્વેતાંબર જૈનોના આધ્યાત્મિક નેતાઓનાં સંમેલનને સંબોધન કરતાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે આ દેશમાં ગૌહત્યા સ્વીકાર્ય નથી. અમે દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કરીશું.
ભાજપશાસિત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધનો ઉલ્લેખ કરતાં ગૌહત્યા અટકાવવા માટેની સરકારની પ્રતિબદ્ધતા પર કોઇએ શંકા કરવી જોઇએ નહીં. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની ભાજપ સરકારે આકરા કાયદા લાદ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી આપવામાં અમે જરા પણ વિલંબ કર્યો નહોતો. આ પ્રસંગે આચાર્ય શિવમુનિએ માગ કરી હતી કે કેન્દ્ર સરકાર સંસદનાં બજેટ સત્રમાં જ ગૌહત્યા પર પ્રતિબંદ લાદતો કાયદો ઘડી કાઢે. જવાબમાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે આ માટે સરકારને સંસદનાં બંને ગૃહોમાં સંપૂર્ણ બહુમતીની જરૂર છે, તો જ સરકાર ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી શકશે.