દેશમાં સામાન્ય માનવી સુધી કોરોનાની રસી ૨૦૨૨ સુધીમાં પહોંચશે: AAIMSના વડા

Tuesday 10th November 2020 16:28 EST
 
 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮૬૦૮૩૭૪, કુલ મૃતકાંક ૧૨૭૨૩૯ અને કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો કુલ આંક ૭૯૭૬૧૯૫ સુધી પહોંચ્યો હોવાના મંગળવારે અહેવાલો હતા. આ સાથે કોરોનાની વેક્સિન દેશમાં ક્યારે આવશે અને લોકોને ક્યારે મળતી થશે તે અંગે ચર્ચાએ વેગ પકડયો છે. આ અંગે AAIMSનાં ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ ૮મી નવેમ્બરે દેશવાસીઓને કોરોનાથી સાવધ રહેવાની ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, દેશમાં સામાન્ય માનવી સુધી ૨૦૨૨ સુધીમાં વેક્સિન પહોંચી શકશે. ભારત વિસ્તાર અને કદમાં મોટો દેશ છે તેમજ વસ્તી પણ ઘણી વધારે છે આથી તમામને વેક્સિન આપતા એક વર્ષ કરતાં વધુ સમય લાગી શકે છે. રણદીપ ગુલેરિયા કોરોના વાઈરસ મેનેજમેન્ટ માટે બનાવાયેલા નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય છે. તેમણે કહ્યું કે, કોરોના જલદી ખતમ થશે નહીં. ભારતનાં બજારોમાં તેની દવા પહોંચતા એક વર્ષ કરતાં વધુ સમય લાગી શકે છે. દેશનાં તમામ વિસ્તારોમાં ઝડપથી વેક્સિન પહોંચાડવી એ મોટો પડકાર છે.
બાયોટેકની રસી કોવાક્સિન ફેબ્રુઆરીમાં
ભારત સરકારના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે છઠ્ઠી નવેમ્બરે જણાવ્યું હતું કે, સરકાર સમર્થિત કોરોનાની રસી વહેલામાં વહેલી ફેબ્રુઆરી મહિના સુધીમાં લોન્ચ કરી શકાશે. ભારતીય કંપની ભારત બાયોટેક અને સરકાર સંચાલિત આઇસીએમઆર દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવાક્સિનની છેલ્લા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ આ મહિનાથી શરૂ થઇ રહી છે અને અત્યાર સુધીનાં પરિણામો દર્શાવે છે કે કોવાક્સિન સુરક્ષિત અને અસરકારક છે.
આઇસીએમઆરના વરિષ્ઠ વૈજ્ઞાનિક રજનીકાંતે જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થાય તે પહેલાં લોકોને કોરોનાની રસી આપવી કે કેમ તે અંગેનો નિર્ણય આરોગ્ય મંત્રાલયે કરવાનો છે.

આંધ્રમાં શાળાઓ ખૂલ્યા બાદ ૨૬૨ વિદ્યાર્થી, ૧૬૦ શિક્ષકોને કોરોના

દેશના કેટલાક રાજ્યોમાં ઉચ્ચતર વર્ગોની શાળાઓ શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ખૂલવાની છે. આ વચ્ચે જ પાંચમી નવેમ્બરે અહેવાલ છે કે, આંધ્ર પ્રદેશમાં શાળા ખૂલ્યાના ૩ જ દિવસમાં ૨૬૨ વિદ્યાર્થી તથા ૧૬૦ શિક્ષકો ચેપગ્રસ્ત જણાયા છે. આંધ્ર પ્રદેશ સ્કૂલ એજ્યુકેશન કમિશનર વી. ચિન્ના વીરભદ્રએ પાંચમીએ માહિતી આપી હતી કે, આંધ્રમાં ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે બીજી નવેમ્બરના રોજ સ્કૂલ પુનઃ ખોલવામાં આવી હતી તેના ત્રણ દિવસ બાદ લગભગ ૨૬૨ વિદ્યાર્થીઓ અને ૧૬૦ શિક્ષકો કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમણે કહ્યું કે સ્કૂલ આવતા વિદ્યાર્થીઓની સંખ્યાની તુલનામાં ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓનો આંક ચિંતાજનક નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter