નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે, દેશનો દરેક વિસ્તાર અને સમાજના તમામ વર્ગ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. બહુ ઓછાં લોકોએ વિચાર્યું હશે કે છેલ્લાં ચાર વર્ષમાં દેશનાં ૪.૫ લાખ ગામ ખુલ્લામાં કુદરતી હાજતે જવાથી મુક્ત બનશે અને ૯ કરોડ ટોઇલેટનું નિર્માણ થશે. સ્વચ્છતા હી સેવા મિશન ગાંધી જયંતી સુધી જારી રહેશે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન માટે કામ કરનારાને સ્વતંત્રતા સેનાનીની જેમ યાદ કરવામાં આવશે. તેઓ મહાત્મા ગાંધીના સાચા વારસો ગણાશે. સરકાર એકલી કશું કરી શકે નહીં, આ કામમાં તમામના સાથની જરૂર છે. મોદીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વિવિધ ધર્મગુરુઓે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, અમિતાભ બચ્ચન અને રતન તાતા જેવા અગ્રણી નાગરિકો સાથે વાત કરી હતી.
વડા પ્રધાન દિલ્હીના પહાડગંજમાં આવેલી બાબાસાહેબ આંબેડકર હાયર સેકન્ડરી સ્કૂલનાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. વડા પ્રધાને જાતે હાથમાં ઝાડુ ઉઠાવી શાળાનાં સફાઈની કામગીરી કરી હતી. આ કાર્યક્રમમાં દેશભરના કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા.