લખનઉઃ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અયોધ્યામાં મુસલમાનોને અપાયેલી જમીન પર મસ્જિદ નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂરું થઈ જશે તેવી આશા સેવાઈ રહી છે. મસ્જિદ નિર્માણ કાર્ય કરી રહેલા ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ જાણકારી અપાઇ છે. જો આમ બનશે તો જોગાનુજોગ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ પૂરું થવાના સમયની આસપાસ જ મસ્જિદનું માળખું ઊભુ કરવાની કામગીરી પૂરી થશે. જે જમીન પર મસ્જિદનું નિર્માણ થઈ રહ્યું છે તે જમીન રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મળેલી છે. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અયોધ્યામાં આ જમીન પર મસ્જિદ નિર્માણ માટે ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરેલી છે. ટ્રસ્ટના સચિવ અતહર હુસેને કહ્યું કે, 'મહિનાના અંત સુધીમાં અયોધ્યા વિકાસ પ્રાધિકરણ પાસેથી મસ્જિદ, હોસ્પિટલ, સામૂહિક રસોઈ, પુસ્તકાલય અને રિસર્ચ સેન્ટરના નકશા મળી જવા આશા છે.’