નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેંચે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે ધાર્મિક સ્થળોએ લોકોને ભેટ આપવાની એક ધાર્મિક ક્રિયા અંતર્ગત છુટછાટ છે પણ જો આ ભેટ સ્વરૂપે મળેલી વસ્તુઓ કે નાણાનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિ કે કસીનો માટે થતો હોય તો તેને કાયદો અટકાવી શકે છે.
એટલે કે મંદિર કે મસ્જિદ કે કોઇ પણ ધાર્મિક સ્થળે જે નાણા કે ભેટ આપવામાં આવે છે તેનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિ માટે ન થવો જોઇએ તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી હતી.
આ ઉપરાંત માનવ બલી અંગે પણ આકરી ટકોર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ધર્મના નામે કોઇ વ્યક્તિની બલી ચડાવવી એ એક પ્રકારની હત્યા છે. સાથે જ સતી પ્રથાને પણ પોતાના અવલોકનમાં સુપ્રીમ કોર્ટે ટાંકી હતી અને કહ્યું હતું કે સતી પ્રથા પણ હત્યા જ ગણાય છે અને તેને કાયદામાં માન્યતા નથી. જો કોઇ આવી પ્રથા પણ ધર્મ સાથે સંકળાયેલી હોય તો તેવી ધાર્મિક પ્રથા પણ સુધારાનો વિષય છે અને આવી
પ્રથાનો ધર્મના નામે બચાવ ન કરી શકાય.