નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં ફાંસીની સજા મેળવનારા ચાર દોષિતોના પરિવારજનોએ રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ઈચ્છામૃત્યુ માટે મંજૂરી માગી હતી. દોષિતોના વૃદ્ધ માતા-પિતા, ભાઈ-બહેન અને તેમના બાળકોએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી હતી. પત્રમાં તેમણે પોતાની આર્થિક સ્થિતિ સારી નથી અને દોષિતોને ફાંસી અપાયા બાદ તેમના જીવનનો કોઈ અર્થ નથી તેવો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે આ પત્રની એક નકલ નિર્ભયાના માતા-પિતાને પણ મોકલી આપી છે.
નિર્ભયા કેસના ચારેય દોષિતોના પરિજનોએ વકીલ એ પી સિંહના માધ્યમથી રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છામૃત્યુ માટે મંજૂરી માગી છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસના ચાર દોષિતોને ૨૦મી માર્ચના રોજ વહેલી સવારે ૫-૩૦ કલાકે ફાંસી આપવાની છે. પત્રમાં તેમણે રામાયણનો હવાલો આપીને પાપ, પાપી અને પરિવારને નષ્ટ કરવાનું કહી ભવિષ્યમાં થનારા કોઈ પણ જાતના ગુનાને રોકી શકાશે અને કોર્ટે એકના બદલે પાંચ લોકોને ફાંસી નહીં આપવી પડે તેમ જણાવ્યું છે.