નવીદિલ્હીઃ નોટબંધીના નિર્ણય બાદ દેશના છ રાજ્યો પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કુલ ૪ લોકસભા અને ૮ વિધાનસભાની બેઠકો પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી ૨૨મી નવેમ્બરે સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ હતી. પરિણામની શરૂઆત થઈ ત્યારે લાગતું હતું કે નોટબંધીની અસર આ પરિણામ પર વર્તાઈ શકે છે. જોકે મોટાભાગના પરિણામ જોતાં મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલી નોટબંધીની કોઈ અસર આ પેટાચૂંટણીઓ પર પડી હોય તેવું દેખાતું નથી.
આ ચૂંટણીઓમાં મતદારો માટે સ્થાનિક મુદ્દા જ વધુ અસરકર્તા જણાયા હતા.
પ્રથમ પરિણામ ત્રિપુરાની બરજાલા અને ખોવઈ વિધાનસભા બેઠકનું આવ્યું હતું અને બંને બેઠકો પર સીપીઆઈએમને વિજય મળ્યો. બંને બેઠકો માટે જબરજસ્ત પ્રચાર કરનારા તૃણમુલ કોંગ્રેસની હાર થઈ તો પુડ્ડુચેરીની નેલ્લિથોપ્પુ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. મધ્ય પ્રદેશની નેપાનગર વિધાનસભા અને શાહડોલ લોકસભા બેઠક પર ભાજપની જીત થઈ છે. પ. બંગાળની બંને લોકસભા બેઠકો પર તૃણમુલ કોંગ્રેસનો વિજય થયો છે.