અમૃતસરઃ પંજાબના ફિરોઝપુરમાં ફરી એક વખત સરહદીય ગામોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. ઝુંઝારા હજારાસિંહવાલા ગામમાં ગ્રામીણોએ ૧૦મી ઓક્ટોબરે સવારે બે ડ્રોન જોયા હોવાનો અને તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા હોવાનો દાવો છે. ડ્રોન દેખાયાના સમાચારથી સરહદ સલામતી દળ (બીએસએફ) અને પોલીસ ડ્રોનની શોધ માટે દોડતી થઈ ગઈ છે. દરમિયાન તાજેતરમાં પંજાબમાં ગયા મહિને ડ્રોનથી હથિયારો ફેંકવા પાછળ પાકિસ્તાની સરકારનો હાથ હોવાનો દાવો કરાયો છે. કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પછડાટનો સામનો કરનાર પાકિસ્તાને હવે ભારતમાં આતંકીઓને શસ્ત્રો પૂરા પાડવા માટે ડ્રોન મારફત ડિલિવરીનો નવો માર્ગ શોધી કાઢ્યો છે.