શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક આતંકીએ ગયા ગુરુવારે બેન્ક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકી સંગઠન કાશ્મીર ફ્રિડમ ફાઈટર્સ (કેએફએફ)એ આ હત્યાની જવાબદારી લીધી છે અને તેણે કાશ્મીરી પંડિતો તથા બહારના લોકોની આવી જ હાલત થશે તેવી ધમકી પણ આપી છે. રાજસ્થાનના વતની એવા બેન્ક મેનેજર વિજય કુમારની હત્યા કરવાની સાથે કેએફએફે એક પત્રમાં ચેતવણી આપી છે કે કાશ્મીરના ડેમોગ્રાફિક (ભૌગોલિક સ્થિતિ) પરિવર્તનમાં સામેલ થનારા લોકોની આ જ હાલત થશે. કુલગામમાં બેન્ક મેનેજર વિજય કુમારની હત્યાની અમે જવાબદારી લઈએ છીએ.
પત્રમાં લખ્યું છે, બહારના લોકો એમ ન માને કે મોદીના નેતૃત્વવાળી સરકાર તેમને અહીં સ્થાયી થવા દેશે, તેમના માટે આ આંખ ખોલનારી ઘટના છે. હવે બહારના લોકોએ વાસ્તવિક્તા સમજી લેવી જોઈએ કે તેમણે અહીં જીવ ગુમાવવો પડી શકે છે. વિચારો, ક્યાંક મોડું ન થઈ જાય અને આગામી વખતે તમારો વારો હશે.