નવી દિલ્હીઃ પોતાની પત્નીને છોડીને જતાં રહેતા ૪૫ બિનનિવાસી ભારતીયોના પાસપોર્ટ કેન્દ્ર સરકારે ચોથીએ રદ કર્યાંનું જાહેર કર્યું છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ ચોથીએ કહ્યું હતું કે, આ બાબતે તપાસ કરી રહેલી ઇન્ટીગ્રેટેડ નોડલ એજન્સીએ એનઆરઆઈ લગ્નના કેસમાં ભાગી છુટેલા પતિઓ સામે લુકઆઉટ નોટીસ જારી કરી હતી તેમજ વિદેશ મંત્રાલયે ૪૫ પાસપોર્ટ રદ કર્યાં હતાં. મેનકા ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં એક ખરડો મૂક્યો હતો જેમાં પતિ દ્વારા ત્યજી દેવાયેલી મહિલાઓને ન્યાય આપવાના પ્રયાસ કરાયો હતો, પરંતુ અફસોસ વ્યક્ત કર્યો હતો કે એ ખરડો ઉપલા ગૃહમાં અટવાઇ ગયો હતો. ખરડામાં બિન નિવાસી ભારતીયો દ્વારા કરવામાં આવતા લગ્નની નોંધણીને ફરજિયાત બનાવવામાં આવી હતી.