પત્રકાર અર્નબ ગોસ્વામીની જામીન અરજી હાઇ કોર્ટે ફગાવી

Tuesday 10th November 2020 09:47 EST
 
 

મુંબઇઃ રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (ઉં ૪૭)ને વર્ષ ૨૦૧૮માં ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઈકને આત્મહત્યા માટે દુષ્પ્રેરણના કેસમાં ચોથી નવેમ્બરે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાયા હતા. એ પછી અર્નબે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરતાં સુપ્રીમે સ્થાનિક કોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું અને અર્નબે કસ્ટડીમાં જ રહેતાં બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. સોમવારે મુંબઈ હાઈ કોર્ટે જામીનના ઈનકાર સાથે લોઅર કોર્ટમાં અરજી કરવા જણાવતાં અર્નબે સોમવારે જ અલીબાગ સેશન કોર્ટમાં પણ અરજી કરી હતી.
અર્નબને ૧૮મી નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાયા હતા. સાતમીની રાત સુધી તેઓને અલીબાગની એક સ્કૂલમાં બનેલી અસ્થાયી જેલમાં રખાયા હતા. રવિવારે સવારે તેઓને તલોજા જેલમાં શિફ્ટ કરાયા હતા. આ કેસમાં અર્નબ ઉપરાંત ફિરોઝ શેખ અને નિતેશ સારદાની પણ ધરપકડ કરાઈ હતી.
આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ
અર્નબની ચોથીએ ધરપકડ કરીને પોલીસે તેમને રાયગઢ જિલ્લા અદાલતમાં રજૂ કર્યા હતા. મુંબઈ પોલીસે અર્નબ સામે મહિલા પોલીસકર્મીને ધક્કો મારીને હાનિ પહોંચડાવાનો પણ ગુનો નોંધ્યો હતો તો બીજી બાજુ અર્નબે આરોપ મૂક્યા કે, તબિયત ખરાબ હોવા છતાં પોલીસ તેમને ખેંચીને લઈ ગઈ અને મારઝૂડ કરી. બૂટ પણ પહેરવા નથી દીધા. કસ્ટડીમાં તેને પાણી પણ પીવા ન દીધું.
રૂ. ૫.૪૦ કરોડ ચાંઉ કર્યાનો આરોપ
૨૦૧૮માં ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકે તેની માતા સાથે આત્મહત્યા કરી હતી. અન્વયની પત્ની અક્ષતાએ તાજેતરમાં અર્નબ પર આરોપ મૂક્યો કે, તેનો પતિ રિપબ્લિક ટીવીના સ્ટુડિયોનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ કરતો હતો. કામ પૂરું થયા પછી અર્નબે તેના કામ પેટેના રૂ. ૫.૪૦ કરોડના બિલની ચૂકવણીમાં ઠાગાઠૈયા કર્યાં હતાં. જેથી અન્વય અને તેની માતાએ આત્મહત્યા કરવી પડી હતી. અંતિમ નોટમાં અન્વયે અર્નબ અને અન્ય બેનાં નામનો ઉલ્લેખ કર્યો હતો.
આ મુદે ભાજપે દેશભરમાં વિરોધ નોંધાયો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને તેના સાથીઓએ ફરી લોકશાહીનું અપમાન કર્યું છે. અર્નબ સામે લેવાયેલાં પગલાં રાજ્યની સત્તાઓના દુરુપયોગ, વ્યક્તિગત સ્વતંત્રતા અને લોકશાહીના ચોથા સ્તંભની સ્વતંત્રતા ઉપર હુમલો છે.
ફેક ટીઆરપી મામલે એવીપીની ધરપકડ
આ ઉપરાંત મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ (AVP) ઘનશ્યામની પણ મંગળવારે સવારે ધરપકડ કરી હતી. આ કાર્યવાહી જોકે ફેક TRP મામલે કરાઈ હતી. આ પહેલાં પણ પોલીસે ઘનશ્યામની ૩૦ કલાકથી વધુની પૂછપરછ
કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter