વોશિંગ્ટનઃ વર્લ્ડ બેંકે ભારતને પરપ્રાંતીય મજૂરોના સંદર્ભમાં ૧૨મી એપ્રિલે ખાસ ચેતવણી આપી છે કે જ્યારે માઈગ્રન્ટ કામદારો ઘરે જશે ત્યારે કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો સમયગાળો આવી શકે છે. તેના માટે સરકારે અત્યારથી જ ખાસ આયોજન કરવું જરૂરી છે. વર્લ્ડ બેંકે એવી ભીતિ વ્યક્ત કરી છે કે ભારતીય ઉપખંડમાં કામદારો-મજૂરો પોતાના વતનમાં પાછા ફરશે પછી કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો નવો દોર શરૂ થઈ શકે છે. ભારતીય ઉપખંડમાં અતિ વસતિના કારણે કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતા વધારે છે. મજૂરો-કામદારો માટે અત્યારે ભારત સહિતના દેશોએ આશ્રય ગૃહો બનાવ્યા છે, પરંતુ કોરોનાની અસર ઓછી થશે એટલે અસંખ્ય કામદારો અને મજૂરો પોતોના વતનમાં પાછા ફરશે. એ વખતે માસ ટ્રાન્સમિશન થઈ શકે છે. વર્લ્ડ બેંકે એવો તર્ક આપ્યો હતો કે અત્યારે મોટાભાગના કેસ અર્બન એરિયામાં આવી રહ્યા છે. ભારતનો ગ્રામ્ય વિસ્તાર હજુ સુધી કોરોનાની ચપેટમાં આવ્યો નથી, પરંતુ શહેરી વિસ્તારમાં કાર્યરત કામદારો ગામડાં કે નાના ટાઉનમાં જશે ત્યારે તેની સાથે કોરોના લઈને જાય એવી શક્યતા નકારી શકાતી નથી.