શ્રીનગરઃ ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પાકિસ્તાને આ હુમલો કરીને ઇન્સાનિયત અને કાશ્મીરિયત પર હુમલો કર્યો છે. વડાપ્રધાને 42 મિનિટના ભાષણમાં આતંકવાદ, પાકિસ્તાન અને કાશ્મીર પર્યટનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણો પાડોશી દેશ માનવતા, સામાજિક એકતા અને આર્થિક સમૃદ્ધિનો વિરોધી છે, એટલું જ નહીં પાકિસ્તાન ગરીબોની રોજીરોટીનો પણ વિરોધી છે. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલો આતંકી હુમલો તેનું ઉદાહરણ છે, પાકિસ્તાન આ હુમલો કરીને ભારતમાં હિંસા ભડકાવવા અને કાશ્મીરીઓની પરસેવાની કમાણીને પાંગળી કરવા માગતું હતું. પર્યટન રોજગારી સર્જવા ઉપરાંત લોકો વચ્ચે એકતા પણ લાવે છે.
મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં આજે જે 46,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું છે તેનાથી જમ્મુ અને કાશ્મીરના વિકાસને ગતિ મળશે. વૈષ્ણોદેવી યાત્રાળુઓ માટેના બેઝ કેમ્પ કટરામાં વિશાળ રેલીને સંબોધતા મોદીએ પાકિસ્તાનને ઘેર્યું હતું અને કહ્યું હતું કે આ હુમલો કરીને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના પર્યટનને ખોરવવા માગતું હતું.
પાક-ચીન સામે એક સાથે લડવા
સૈન્યને પાંચ ગણી તાકાત મળશે
ચિનાબ પુલ 272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલવે પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જે પાકિસ્તાનના LoC અને ચીનના એલએસી સુધી ભારતીય સેનાને પહોંચવાના સમયમાં પાંચ ગણો ઘટાડશે. અત્યારે ટ્રેનથી બંને સરહદો વચ્ચે સૈનિકો અને સાધનસામગ્રી પહોંચાડવામાં 16 કલાક થાય છે. ચિનાબ બ્રિજથી તે ઘટીને 3 કલાક થઇ જશે. આ પ્રકારે બંને મોરચે એક સાથે યુદ્ધની સ્થિતિમાં આ બ્રિજ સૈનિકોની તૈનાતો માટે વરદાન સાબિત થશે. પુલની સાથે 215 કિમીનો એપ્રોચ રોડ પણ બનાવાયો છે. તેનાથી બંને સરહદોના એવા 70 ગામો સાથે સંપર્ક શક્ય બન્યો છે, જેને ભારતીય સેનાની આંખ-કાન મનાય છે.
જમ્મુ પ્રાંતના રિયાસી જિલ્લામાં ચિનાબ નદીના બે પટને 29 હજાર ટન સ્ટીલ અને 67 હજાર સ્કવેર મીટર કોંક્રિટથી જોડવામાં આવ્યા છે. આ બ્રિજથી રાજ્યના ખૂબ જ દુર્ગમ અને હિમવર્ષાને કારણે મુશ્કેલ મનાતા વિસ્તારોમાં 24 કલાક અવરજવર થશે. આ પુલના ઉદ્ઘાટન બાદ કાશ્મીર ખીણ રાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાઈ જશે અને સૈન્ય ઉપરાંત ઔદ્યોગિક તેમજ કૃષિ ઉત્પાદનોના પરિવહનનો રસ્તો પણ સાફ થઈ જશે.