નવી દિલ્હીઃ હુર્રિયત નેતાઓના મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી વિવાદ ઊભો થયો છે. સોમવારે પાકિસ્તાન દિવસની ઉજવણીના પ્રસંગે યોજાયેલા સમારંભમાં પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિતે હુર્રિયત નેતાઓને પણ આમંત્રણ આપતા ભારત નારાજ થયું છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે બંને દેશોની મંત્રણામાં ત્રીજા પક્ષનું કોઈ સ્થાન નથી. સૈયદ અલીશાહ ગિલાની, મીરવાઇઝ ઉમર ફારુક સહિત અન્ય ભાગલાવાદી નેતાઓને પણ બોલાવ્યા હતા. સાથે જ જેલમાંથી છૂટેલા મસરત આલમને પણ આમંત્રણ અપાયું હતું પરંતુ કોઇ બહાને મસરત દિલ્હી ન આવ્યો.
વિદેશ સચિવોની મંત્રણા રદથઇ હતી
હુર્રિયત નેતાઓ સાથે રાજદ્વારીઓની મુલાકાત કોઈ નવી વાત નથી. છેલ્લાં ૩૦ વર્ષમાં આવા ઘણા પ્રસંગ બન્યા છે. ગત વર્ષે બાસિતની હુર્રિયત નેતાઓ સાથે મુલાકાત અંગે નારાજગી વ્યક્ત કરીને ભારતે વિદેશ સચિવ સ્તરની મંત્રણા રદ કરી હતી. ત્યાર પછી પણ પાકિસ્તાન અટક્યું નથી. વિદેશ સચિવ એસ. જયશંકર ઇસ્લામાબાદ ગયા ત્યારે બાસિતે કટ્ટરવાદી હુર્રિયત નેતા ગિલાનીના ઘરે જઈને તેમને મંત્રણાની માહિતી આપી. ૨૨ માર્ચની રાત્રે મીરવાઇઝ અન્ય નેતાઓ સાથે બાસિતના ઘરે ગયા હતા.