મુંબઈઃ પાલઘર જિલ્લાના દહાણુ નજીકના ગઢચિનચલે ગામમાં ૧૬મી એપ્રિલની રાત્રે બે સાધુઓ તેમજ તેમનાં ડ્રાઈવરની લઘુમતી સમુદાયના ટોળાએ હુમલો કરીને હત્યા કરી નાંખી હતી. સ્વામી કલ્પવૃક્ષગિરિજી અને સ્વામી સુશીલગિરિજી વાન ભાડે કરીને તેમના ગુરુના અગ્નિસંસ્કારમાં મુંબઈનાં કાંદીવલીથી સુરત જઈ રહ્યા હતા. ડ્રાઈવરનું નામ નિલેશ તેલગડે હતું. ગામનાં લોકોએ ચોર સમજીને ત્રણેય પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ઘટના વખતે હાજર પોલીસવાળાઓએ બચાવવાની જગ્યાએ તેમને ટોળાને સોંપી દીધા હતા. આ ઘટનામાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર અને પીએસઆઈને નોકરીમાં સસ્પેન્ડ કરાયા છે. આ કેસની તપાસ સીઆઈડીને સોંપાઈ છે.
આ ઘટનામાં સામેલ ૧૧૦ લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં ૯ સગીરો સહિત મોટાભાગના લઘુમતી કોમના છે. તમામ આરોપીઓને ૩૦ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં લેવાયા છે. સગીરોને શેલ્ટર હોમમાં રખાયા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આરોપીઓ સામે કડક પગલાં લેવાની બાંહેધરી આપીને જણાવ્યું છે કે સાધુઓની હત્યા સાંપ્રદાયિક ઘટના નથી અને આ શરમજનક કૃત્યમાં સામેલ કોઈને બક્ષવામાં નહીં આવે. બીજી તરફ દેશભરના સાધુઓ સહિત અખાડા પરિષદે ઘટનાના વિરોધમાં ૩ મે પછી આંદોલન કરવાની અને મુંબઈ સુધી કૂચ કરવાની ધમકી આપી છે. આ ઘટનાને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસે વખોડી છે તો કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ઘટનાનો અહેવાલ માગ્યો છે અને જરૂરી પગલાં લેવા માટે તાકીદ કરી છે.