નવી દિલ્હીઃ કોરોના વાઈરસના સંકટ સામે ઝીંક ઝીલવા માટે ખાસ ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા ‘પીએમ કેર્સ’ રાહતનિધિ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. ૨૮મી માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડ ઊભું કર્યું હોવાની જાહેરાત કરી હતી. અમેરિકાની સરકારે તેની સહાય એજન્સી યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટે પણ ભારતને ૨૯ લાખ ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે. એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે, પીએમ કેર્સ બન્યાના એક જ સપ્તાહમાં તેમાં રૂ. ૬૫૦૦ કરોડ દાન સ્વરૂપે જમા થયાં છે. સામાન્ય નાગરિક તેની યથાશક્તિ પ્રમાણે તો વિવિધ ક્ષેત્રની ખ્યાતનામ હસ્તીઓ ગંજાવર દાન જમા કરાવી રહ્યાં છે. ભારતના કોઈ સામાન્ય વ્યક્તિએ તેની જમાપૂંજી પણ પીએમ કેર્સમાં આપી હોય તેવા દાખલા છે તો વિપ્રો ઉદ્યોગગૃહના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ કોરોના વિરુદ્ધની લડાઈમાં રૂ. ૫૦ હજાર કરોડ કરતાં પણ વધારે રકમનું દાન આપ્યું હોવાના અહેવાલ છે.
• અઝીમ પ્રેમજી દ્વારા કુલ રૂ. ૫૨૭૫૦નું દાન. આ રકમમાંથી વિપ્રો લિ.નો રૂ. ૧૦૦ કરોડ અને વિપ્રો એન્ટરપ્રાઈઝીસ લિ.નો હિસ્સો રૂ. ૨૫ કરોડ હશે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના રૂ. ૧૦૦૦ કરોડ હશે.
• રિલાયન્સ ઉદ્યોગગૃહઃ રિલાયન્સ વતી પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં રૂ. ૫૦૦ કરોડ અને ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યની સરકારોને રૂ. પાંચ-પાંચ કરોડનું દાન
• તાતા કંપનીઝ અને ટ્રસ્ટ દ્વારા કુલ રૂ. ૧૫૦૦ કરોડ દાન. રૂ. ૫૦૦ કરોડ પીએમ કેર્સમાં અન્ય રૂ. ૧૦૦૦ કરોડ મેડિકલ સાધનો, હોસ્પિટલો, દવા સંશોધનો, આરોગ્ય સેવાકર્મીઓની મદદ અને ગરીબોને સહાય માટે વપરાશે.
• બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા દ્વારા પીએમ કેર્સ ફંડમાં રૂ. ૫૧ કરોડ દાન.
• કોટક મહિન્દ્રા બેંકઃ પીએમ કેર્સ ફંડમાં રૂ. ૨૫ કરોડ અને અન્ય જરૂરી સહાય માટે રૂ. ૨૫ કરોડ દાન.
• જેએસડબલ્યુ - જિદાલ ગ્રૂપઃ પીએમ કેર્સ ફંડમાં રૂ. ૧૦૦ કરોડ.
• અદાણી ફાઉન્ડેશનઃ પીએમ કેર્સ ફંડમાં રૂ. ૧૦૦ કરોડ
• ડી માર્ટ – ચેઈન સુપર માર્કેટઃ સંસ્થાપક રાધાકૃષ્ણ દામાણી દ્વારા રૂ. ૧૦૦ કરોડ પીએમ કેર્સ ફંડમાં અને રૂ. ૫૫ કરોડ વિવિધ રાજ્યોના રાહતનિધિ ફંડમાં દાન
• આદિત્ય બિરલા ગ્રૂપઃ કુલ રૂ. ૫૦૦ કરોડના વિવિધ પ્રકારના દાનમાંથી રૂ. ૪૦૦ કરોડ પીએમ કેર્સ ફંડમાં