શ્રીનગરઃ સલામતીદળોએ પુલવામા હુમલા પછી ૬૮ દિવસમાં ૪૧ આંતકીઓને ઠાર કર્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના ૨૫ આતંકી છે. સૈન્ય અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ૨૪મી એપ્રિલે આ માહિતી આપી. લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોને મીડિયાને એમ પણ જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૯ આતંકીનો ઠાર મરાયા છે જ્યારે ૧૨ આતંકી પકડાયા છે. ગયા વર્ષે રાજ્યમાં સૈન્ય અને પોલીસે ૨૭૨ આતંકીઓને માર્યા હતા. હવે ખીણમાં સ્થિતિ એવી છે કે કોઈ પણ જૈશનો કમાન્ડર બનવા તૈયાર નથી. તેમ છતાં પાકિસ્તાન જૈશની મદદ કરી રહ્યું છે. અમે સતત ખાસ કરીને પુલવામા હુમલા પછી જૈશને ખતમ કરી રહ્યા છીએ. છેલ્લા ત્રણ મહિનામાં માર્યા ગયેલા આતંકીઓમાં ૧૩ પાકિસ્તાની છે. જ્યારે એટલા જ આતંકીઓને એ પ્લસ કેટેગરીના આતંકી માનવામાં આવ્યા હતા. રાજ્યના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે આતંકી સંગઠનોમાં હવે કાશ્મીરના યુવક ઓછા ભરતી થઈ રહ્યા છે. યુવકોએ પોલીસમાં ભરતી થવામાં રસ દર્શાવ્યો છે.
પાકિસ્તાની આતંકી વકારને પ્રેસ કોન્ફરન્સમાં કરાયો
બારામુલ્લાના એસએસપી અબ્દુલ ક્યુમે આતંકી મોહમ્મદ વકારને પ્રેસ કોન્ફરન્સમાં હાજર કર્યો. વકાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે. તે જુલાઈ ૨૦૧૭માં ભારત આવી પહોંચ્યો હતો. તેની યોજના બારામુલ્લામાં આતંકી સંગઠન ફરીથી ઊભું કરવાની હતી. શ્રીનગરમાં આતંકી પ્રવૃત્તિ કરતો હતો.