તાજેતરમાં દિલ્હી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો નૂતન શિખર કળશ આરોહણ મહોત્સવ અને ૪૦મો વાર્ષિક પાટોત્સવ વિધિ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વડા પૂ. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીના સાનિધ્યમાં યોજાઈ ગયો. આ મહોત્સવમાં સ્વામિનારાયણ ધર્મના અનુયાયીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
દિલ્હી આવેલા પૂ. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. બન્ને મહાનુભાવોએ વિવિધ વિષયો પર વાતચીત કરી હતી. ચર્ચા દરમિયાન રાષ્ટ્રપતિએ શાંતિ અને સમૃદ્ધિના મહત્ત્વનો સંદેશ ફેલાવીને ભારત વિશ્વ ગુરુ બને તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. તેના પ્રત્યુત્તરમાં પૂ. પુરુષોત્તમપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે આપણે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ અને અન્ય સૌને આદર આપીએ છીએ તે આપણો સૌથી સમૃદ્ધ વારસો છે. આપણો સ્વભાવ છે કે આપણે અન્ય લોકોને મહાન બનાવીએ છીએ. આ તમામ ગુણો અને ભારતીય સંસ્કૃતિની સમગ્ર વિશ્વ પ્રશંસા કરશે અને ભારતને વિશ્વ ગુરુ તરીકે ઓળખ આપશે.