નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પૂર્વ ચિફ જસ્ટિસ રંજન ગોગોઈની રાજ્યસભામાં નિયુક્તિ પછી કોંગ્રેસ સહિતના વિપક્ષોએ વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના નેતા પુનિયાએ કહ્યું કે એનડીએ સરકારનું મોટામાં મોટું હથિયાર આશરો અને વેરઝેર તેમજ નફરત છે. તેઓ ગમે તે હદે જઈ શકે છે. જે લોકો ન્યાયતંત્રને અધિકારીઓથી અલગ રાખવા માગે છે તેના માટે આ ફટકા સમાન છે. સીતારામ યેચૂરી, અસાદુદ્દીન ઓવૈસી અને તૃણમૂલ નેતાએ પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહાએ કહ્યું કે, ગોગોઈની નિયુક્તિ ન્યાયતંત્રની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાવશે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડશે. શશિ થરૂરે ટ્વિટ કર્યું હતું કે, નિવૃત્તિ પછીની જોબનાં ચક્કરમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા પ્રભાવિત થઈ રહી છે. રંજન ગોગોઈએ તાજેતરમાં એનડીએની તરફેણમાં ચુકાદાઓ આપ્યા હતા જેમાં અયોધ્યા રામમંદિર, રાફેલ, સબરીમાલા, એનઆરસી જેવા મહત્ત્વના ચુકાદાનો સમાવેશ થાય છે.
કપિલ સિબ્બલે આક્ષેપ કર્યો કે રંજન ગોગોઈએ ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે બાંધછોડ કરી છે. તેમણે બંધારણનાં માળખાનો ભંગ નહીં કરવાનો ચુકાદો આપનાર ખન્ના સાથે તેમની સરખામણી કરી હતી.