નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસમાં એન. નારાયણસામીના નેતૃત્વ સામે પ્રવર્તતા અસંતોષને પગલે સંખ્યાબંધ નેતાઓ પાર્ટી છોડીને ચાલ્યા ગયા હતા. કોંગ્રેસની યાદવાસ્થળીને કારણે મતદારોએ પણ આ વખતની ચૂંટણીમાં એનડીએ ગઠબંધન પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
આ પહેલાં ૨૦૧૧માં કોંગ્રેસના પુડ્ડુચેરી એકમમાં ભંગાળ સર્જાયું હતું અને તત્કાલિન મુખ્ય પ્રધાન એન. રંગાસામીએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસની રચના કરી હતી. વર્ષ ૨૦૨૧ની ચૂંટણીમાં રંગાસામી ભાજપ સાથે હાથ મિલાવી એનડીએ ગઠબંધનમાં સામેલ થયા હતા. કોંગ્રેસ સામે પ્રવર્તતા અસંતોષનો લાભ એનડીએ ગઠબંધનને થયો છે અને એનડીએ ગઠબંધને બહુમતી મેળવી લીધી છે. જ્યારે કોંગ્રેસને સમ ખાવા પુરતી ફક્ત બે બેઠક હાંસલ થઈ છે.