મુંબઇઃ બોલિવૂડ અને ટીવી જગત માટે ૨૦૨૦નું વર્ષ ખુબ જ દુઃખદ અને મુશ્કેલીભર્યું રહ્યું છે. ટીવી જગતના વધુ એક અભિનેતાના નિધનના સમાચાર મળી રહ્યા છે. ફિલ્મ, ટીવી, થિયેટર એક્ટર, વોઈસ ઓવર આર્ટિસ્ટ અને લેખક આશીષ રોયનું લાંબી બીમારીના કારણે મંગળવારે નિધન થયું છે. તેઓ ગયા અઠવાડિયે મુંબઈની એક હોસ્પિટલમાં કિડનીની સારવાર માટે દાખલ હતા.
'સસુરાલ સિમર કા', 'બા, બહુ ઔર બેટી' જેવા ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકેલા સિનિયર એક્ટરના મૃત્યુનું કારણ કિડની ફેઇલ્યોર જણાવાઈ રહ્યું છે. સારવારને કારણે એક્ટર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. આશિષ પહેલાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ અગાઉ પણ અંતિમ સમયમાં આર્થિક તંગીનો સામનો કરી ચૂક્યા છે.
આશીષે ઈન્ડસ્ટ્રીના લોકો પાસે મદદ માટે ગુહાર લગાવી હતી. ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી મદદ મળ્યા બાદ આશીષ રોય સારવાર કરાવીને પોતાના ઘરે ૨૨ નવેમ્બરે પાછા ફર્યા હતા. છેલ્લા ૮ મહિનાથી આશીષ રોયનું ડાયલિસિસ ચાલુ હતું. અઠવાડિયામાં ત્રણ દિવસ તેઓ ડાયલિસિસ માટે હોસ્પિટલ જતા હતા. શનિવારે પણ આશીષ ડાયલિસિસ માટે ગયા હતા, પરંતુ સોમવાર સાંજથી તેમની તબિયત સારી નહોતી અને મંગળવારે વહેલી પરોઢે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.